સ્વાતિ માલિવાલ સાથે મારપીટ કરવાનો મામલો: વિભવ કુમારને કોર્ટે 4 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા, પોલીસે વિભવનો ફોન ફોર્મેટ થયો હોવાનો કર્યો દાવો
- 24 May, 2024
સ્વાતિ માલીવાલ કેસમાં કોર્ટે વિભવ કુમારને ચાર દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે. તીસ હજારી કોર્ટના આદેશ અનુસાર, વિભવ કુમાર 28 મે સુધી ન્યાયિક કસ્ટડીમાં રહેશે. વિભવને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, પોલીસે પૂછપરછ માટે ચાર દિવસની જ્યુડિશિયલ કસ્ટડીની માંગણી કરી હતી, જેને કોર્ટે સ્વીકારી હતી.
દિલ્હી પોલીસે કહ્યું કે કોર્ટની સૂચના મુજબ અમે પરિવારના સભ્યો અને વકીલને વિભવને મળવાની મંજૂરી આપી હતી. વિભવના વકીલે કહ્યું કે ન્યાયિક કસ્ટડી અથવા પોલીસ કસ્ટડી બંને આરોપીની સ્વતંત્રતાને અસર કરે છે. કોઈપણ વસ્તુની માંગ વ્યાજબી હોવી જોઈએ. વિભવના વકીલે કહ્યું કે જ્યુડિશિયલ કસ્ટડી 14 દિવસની છે પરંતુ પોલીસ 4 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીની માંગ કરી રહી છે. વિભવ કુમારના વકીલનું કહેવું છે કે જ્યુડિશિયલ રિમાન્ડ એ કોર્ટનો વિશેષાધિકાર છે.
સરકારી વકીલ અતુલ શ્રીવાસ્તવે કોર્ટમાં કહ્યું હતું કે સીસીટીવી આરોપીના કબજામાં નથી. આરોપીએ આપેલી પેન ડ્રાઈવ ખાલી મળી આવી હતી. જેને એફએસએલમાં મોકલી આપવામાં આવી છે. વિભવ કુમારે તપાસ દરમિયાન જપ્ત કરાયેલા ડીવીઆરને સુરક્ષિત રાખવાની અપીલ કરી હતી, જેની સામે અતુલ શ્રીવાસ્તવે કહ્યું કે આ અરજી દાખલ કરવાની જગ્યા નથી અને તેને ફગાવી દેવી જોઈએ.
સ્વાતિ માલીવાલે આરોપ લગાવ્યો હતો કે 13 મેના રોજ સીએમ આવાસ પર તેમની સાથે મારપીટ કરવામાં આવી હતી. ઘટનાના પાંચ દિવસ બાદ આરોપી વિભવ કુમારની ધરપકડ કરવામાં આવી હતી. આ પછી કોર્ટે તેને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો હતો. પોલીસ કસ્ટડીની મુદત પુરી થતાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
જ્યારે વિભવ કુમારને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે દિલ્હી પોલીસે આરોપ લગાવ્યો હતો કે વિભવ કુમારનો ફોન મુંબઈમાં ફોર્મેટ કરવામાં આવ્યો હોઈ શકે છે. તે પછી પોલીસ વિભવને પણ મુંબઈ લઈ ગઈ. પોલીસે કોર્ટને કહ્યું હતું કે વિભવ કુમારને તે જ જગ્યાએ લઈ જવામાં આવશે જ્યાં ફોન ફોર્મેટ કરવામાં આવ્યો હતો. તપાસ બાદ વિભવને દિલ્હી પરત લાવવામાં આવ્યો હતો.